ઘરઆંગણે T20 શ્રેણીમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે ODI શ્રેણીમાં પણ તેમનો વ્હાઈટવોશ કર્યો હતો. હવે ટીમ ઈન્ડિયા તેના આગામી મિશન ‘ચેમ્પિયન્સ ટ્રોફી 2025’ માટે રવાના થઈ ગઈ છે. અમદાવાદમાં છેલ્લી વનડે રમ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ પહોંચી હતી. આ પછી બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના થઈ
સમાચાર એજન્સી ANI એ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. ભારતીય ખેલાડીઓની સાથે હેડ કોચ ગૌતમ ગંભીર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલ પણ જોવા મળે છે. વિરાટ કોહલી, મોહમ્મદ શમી, શુભમન ગિલ, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને સહાયક કોચ રાયન ટેન ડોશેટ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
તમામ ખેલાડીઓ એરપોર્ટ પર સ્પોટ થયા
ટીમ ઈન્ડિયાના નવા બેટિંગ કોચ સિતાંશુ કોટક પણ એરપોર્ટ પર ટીમ સાથે જોવા મળ્યા હતા, જ્યારે રોહિત શર્મા બીજા એક વીડિયોમાં ફિલ્ડિંગ કોચ ટી દિલીપ સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ટીમ સાથે હાજર હતો. ભારતીય ક્રિકેટ ટીમનો પહેલો બેચ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે દુબઈ જવા રવાના થઈ ગયો છે.
BCCIના નિયમની અસર દેખાઈ
BCCIના નિયમોની અસર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી પછી BCCIએ એક સમીક્ષા બેઠક યોજી અને ટીમ ઈન્ડિયા માટે ઘણા નિયમો બનાવ્યા. એક નિયમ એવો હતો કે ટીમના બધા ખેલાડીઓ મેચ માટે એકસાથે મુસાફરી કરશે. બધા ખેલાડીઓ BCCIની કડકાઈનું પાલન કરતા જોવા મળ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ રમશે. ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ A માં રાખવામાં આવી છે. ભારતનો પહેલો મુકાબલો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે, બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને ત્રીજો મુકાબલો 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે થશે.

